તમે બધાને ખુશ ન રાખી શકો!

બીલ ગોવ દુનિયાના અનેક ખૂણામાં સેમીનાર આપતી વખતે એક વાત વારંવાર દોહરાવે છે - લોકોને દારૂ, જુગાર અને સેક્સની આદત કરતા પણ એક ખરાબ આદત પડી ગઈ છે - "લોકો મને સ્વીકારે". બીજા લોકો પોતાને સ્વીકારે તે માટે લોકો ખૂબ જ મહેનત કરે છે. તેઓ પોતાની જાતને સતત કહેતા રહે છે - "જો લોકોને મારું વર્તન નહિ ગમે તો મને પ્રેમ અને આદર નહિ મળે. લોકો મને સ્વીકારશે નહિ." 

તેઓ કોઈપણ હાલતમાં "લોકો મને સ્વીકારે" તે ચોકઠાંમાં ફીટ થવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે. નવશિખીયા લીડર્સને અન્ય લોકોના અભિપ્રાયની ખૂબ જ વધારે પરવા હોય છે તેથી તેઓને પોતાની જાત પર વિશ્વાસ જ નથી હોતો. તેથી જ આવા મિડલ ક્લાસ લોકો ક્યારેય સફળ નેતા કે સફળ સેલ્સમેન બની શકતા નથી. તેઓ પોતાની જાત માટે પોતે જાતે જ અભિપ્રાય નથી બાંધતા. તેઓ બીજાના જ અભિપ્રાયને પોતાનું સત્ય માની લે છે. 

નવશિખીયા લીડર્સ સતત ડરમાં જીવતા હોય છે. તેનું માનસ જ એ પ્રકારનું થઇ ગયું હોય છે કે તેઓને સતત લોકોની સ્વીકારણાની આદત પડી ગઈ હોય છે. સાઉથવેસ્ટ એરલાઈન્સના લોકો હંમેશા કહે છે - "અમે લોકોનું વલણ જોઇને નોકરી પર રાખીએ છીએ અને ત્યારબાદ તેઓની આવડત વિકસાવવા માટે પૂરતી ટ્રેઈનીંગ આપીએ છીએ." તેને બદલે હું તો કહીશ - "એવા લોકોને નોકરી પર રાખો કે જે સજાગ હોય અને ત્યારબાદ તેની આવડત માટે તેને ટ્રેઈનીંગ પણ આપો." 

અનેક કંપનીમાં સેલ્સમેન કે એક્ઝીક્યુટીવસને નોકરી પર રાખતા પહેલા તેની માનસિકતા કેવી છે તે જાણવું જોઈએ. શું તેઓ લોકો કહે તેમ કામનું પાલન કરવામાં માને છે કે પોતાની અલગ માનસિકતા પણ ધરાવે છે - તે જાણો.

ફૂડ ફોર થોટ

તમારી જાતને ૧ થી ૭ના સ્કેલ પર આંકીને નીચેનો પ્રશ્ન પૂછો:  "લોકો મને સ્વીકારે તે માટે મારી અપેક્ષાઓ અને માનસિકતા કેવી છે?" તમારા મિત્રો અને સંબંધીઓને પણ આ જ પ્રશ્ન પૂછો. તમારા અને તેના જવાબની સરખામણી કરો. તમને ખબર પડી જશે કે - તમારા માટે લોકોના અભિપ્રાય કેટલા મહત્વના છે.